Blood Donation Camp
આધ્યાત્મિક સાધના સાથે સાથે સંસ્થા દ્વારા અનેકવિધ સમાજકલ્યાણ-સેવાની પ્રવૃતિઓ અવારનવાર યોજાતી હોય છે. પૂજ્યશ્રી આત્માનંદજીના જન્મમંગલદિન નિમિત્તે તા ૪-૧૨-૨૦૧૧ ના રોજ હેલ્પ વોલન્ટરી બ્લડ બેંક, અમદાવાદના સહયોગથી આપણી સંસ્થામાં ૧૬મી રક્તદાન શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ડૉ. રાજેશભાઈ સોનેજી, ડૉ. દિલીપભાઈ શાહ, ડૉ. સર્જનભાઈ શાહ તથા ડૉ. અજયભાઈ શાહે આ રક્તદાન શિબિરમાં પ્રશસ્ત યોગદાન આપેલ છે. શિબિરનો મંગળ પ્રારંભ મહાનુભાવોના દીપ-પ્રાગટ્યથી થયો. પ્રાસંગિક ઉદબોધનમાં ડૉ. રાજેશભાઈ સોનેજીએ જણાવ્યું કે પ્રભુ-ગુરુની કૃપાથી દર વર્ષે રક્તદાન શિબિરમાં આપણે સફળતા મેળવતા આવ્યા છીએ. બ્લડનુ મુખ્ય ચાર ભાગોમાં વિભાજન થાય છે. એક વ્યક્તિ રક્તદાન કરે તેનો લાભ ૪ થી ૧૨ જરૂરિયાતવાળી વ્યક્તિઓને મળે છે. રક્તદાન એ વૈજ્ઞાનિક અને તંદુરસ્ત પ્રક્રિયા છે. ત્રણ મહિનામાં રક્તદાતાનુ નવું લોહી બની જાય છે. અત્રે નોંધ લેવી જોઇએ કે આદ. ડૉ. રાજેશભાઈ સોનેજીએ પોતાના જીવનમાં ૬૨ વાર રક્તદાન કર્યું છે.
સંસ્થામાં યોજાયેલ આ રક્તદાન શિબિરમાં લોકોએ રક્તદાન કરી સમાજસેવાના યજ્ઞમાં પ્રશંસનીય આહુતિ આપી હતી. સર્વ રક્તદાતાઓ તથા રક્તદાન શિબિરને સફળ બનાવવામાં સહયોગ આપનારા સેવાભાવી મહાનુભાવોને ધન્યવાદ સહ સંસ્થા તરફથી આભાર માનવામાં આવે છે.
